મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે. કેમ જે, મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહિ ને તેનો ફેર ચડાવી દે નહિ, તેનો નિષેધ કર્યા કરે. ને બીજા તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઇને ખડકાય ને નવરા રહે તોપણ તેના મનસૂબા કર્યા કરે, ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દહાડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે, પણ તેથી જ્ઞાન વિના જો કાંઇક આડુંઅવળું થઇ જાય તો તેને માથે સંસ્કાર કરાવે. ને મોટા ક્રિયા કરાવે તે તો જેમ બકરાને ખવરાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહિ; એમ કરાવે. એવી રીતે ભેદ છે, પણ એ વાત સમજાય નહિ. ।।૧૩૧।।