અને એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઇ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિઓ પાછી વાળીને ભગવાન સંભારવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઇ કરીને જમવું નહિ, તે શા કામનું ? ને એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી. ને એ તો ભગવાન સંભારશું ત્યારે થાશે ને ભગવાનને સંભારવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દષ્ટિ થાય પણ, એ માર્ગે તો ચાલે નહિ; ત્યારે તેના ઉપર શેની દષ્ટિ થાય ? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. ને જેવો સંગ થાય તેવું થવાય છે; પણ જેમાં જે ગુણ નહિ હોય તેને સંગે તે ગુણ કયાંથી આવશે ? ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. ને જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે, એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય છે ને ભગવાન સંભારવા તે પણ છે તો પોતાના જીવના સુખ સારુ, પણ તેને મહારાજ પોતાને અર્થે કયુર્ં એમ માની લે છે. ।।૧૨।।