શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, ‘પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય તેવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું;’ એમાં એમ સમજવું જે, સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો યોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહિ અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે, બહુધા તો રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે; ને સનકાદિકને જોડીએ તોય ન જોડાય ને મરીચ્યાદિકને મુકાવીએ તોપણ મૂકે નહિ, ને ભરતજીને વિઘ્ન થયું તોપણ પાછા સ્મૃતિએ ઝાલ્યા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઇ વખત આંખ છેતરે, કોઇ વખત કાન છેતરે ને જીભ, ત્વચા આદિક છેતરે, પણ પાછા ખબડદાર થાવું પણ હારી જાવું નહિ. ને સુખનું ઠેકાણું ને ભાગવાની  બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો કયાંઇ સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. ।।૬૯।।