સ્વામીએ વાત કરી જે, હજાર વરસનો ખીજડો હોય છે તેને સાંગરિયું થાય છે ને પાંચ વરસનો આંબો હોય તેને કેરીઓ થાય છે. તે તો દષ્ટાંત ને એનું સિદ્ધાંત તો એ છે જે, ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, જો પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત, તેની ઓળખાણ ન હોય તો તે ખીજડા જેવા છે, તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહિ. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય ને અવસ્થા પણ થોડી હોય ને કુળ પણ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિષે નિષ્ઠા થઇ ને એવા સાધુની જેને ઓળખાણ થઇ, તો તે આંબા જેવા છે ને તેને સંગે તો ટાઢું થઇ જાય ને સુખિયો થઇ જાય છે. માટે જે ખીજડા જેવા હોય તેનો સંગ ન કરવો ને જે આંબા જેવા હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે, ‘બાર ગુણે યુકત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં તો ભગવાનનો ભકત શ્વપચ હોય તે શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભકતને ઓળખીને તેનો સંગ કરવો, જેથી છલ્લો જન્મ થઇ જાય; ને એવા ન મળે, તો અનતં જન્મ ઉત્પન્ન કરે એવો કુસંગ છે.’ ।।૬૮।।