શ્રીધોરાજીમાં લાલવડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો તે સમયને વિષે મહારાજે પોતાનો પ્રતાપ સહુને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી આત્માનંદસ્વામીએ મહારાજને કહ્યું જે,‘સત્સંગ બહુ થયો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એક એક સાધુ વાંસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું.’ એમ કહીને કહ્યું જે,‘અમે તો સો કરોડ મનવારો લઇને આવ્યા છીએ; એટલા જીવનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ તો ચિંતામણિઓ ભરીશું, પછી પારસમણિઓ ભરીશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ , પછી રૂપિયા ને પછી છેલ્લી બાકી ગારો , એ પ્રકારે પૂરણી કરવી છે; એવી રીતે મુકતના અનંત પ્રકારના ભેદ છે, ને કલ્યાણ પણ અનંત પ્રકારનાં છે.’ એવી રીતે બહુ વાર્તા કરી. ।।૧।।