પછી વળી સ્વામીએ વાત કરી જે,એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા, તે ઊઠે નહિ. પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને બે-ત્રણ વાર કહ્યું જે,‘હે મહારાજ ! તમે ટીમણ કરો તો ઠીક,’ પછી મહારાજે કહ્યું જે,‘ટીમણ તો કરવા છે, પણ અમારે તો વાત કરવી છે.’ પછી સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! તમે વાત કરો.’ પછી મહારાજ બોલ્યા જે, ‘આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે, તેથી દશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશ છે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણું મહત્તત્ત્વ છે, તેથી દશગણા પ્રધાનપુરુષ છે, તેથી અનંતગણી પ્રકૃતિ છે, ને તેથી અનંતગણો પુરુષ છે, ને તેથી અનંતગણું પર અક્ષરધામ છે. ને તે ધામને વિષે રહેનારા જે અનંતકોટિ મુકત છે, તેમને પુરુષોત્તમનો સંબંધ છે પણ બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાનપુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ-પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનદં સ્વામીએ કહ્યું જે, ‘આંહીં કોઇને પુરુષોત્તમનો સંબંધ હોય તો ?’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એટલી જ વાત સમજવાની છે; કેમ જે અક્ષરના મુકતને પુરુષોત્તમનો સંબંધ છે કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઇને નથી.’ એવી રીતે પોતાના પુરુષોત્તમપણાના પ્રતાપની ઘણીક વાત કરી. તેમાંથી આ તો દિશમાત્ર લખી છે. ।।૨।।