સ્વામીએ વાત કરી જે, ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહિ શકે. કેમ જે, ગર્વગંજન ભગવાન છે. તે ગમે તે દ્વારે પ્રગટ થઇને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, ‘આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઇ ચિંતા રાખવી નહિ. અને જે ધીરજવાન પુરુષ છે તેને ‘દુર્જનઃ કિં કરિષ્યતિ?’ એમ કહીને વળી બોલ્યા જે, કોઇ દિવસ લંબકર્ણનો જય થયો નથી ને થશે પણ નહિ; કમે જે, કામ-ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે, જેનું કામે કાપી લીધું નાક, લોભે લઇ લાજ લીધી રે; જેને જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે. બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂંછડું ઉઘાડું થાય એવા છે.ને એવાનો સગં તો જમે આંબેથી ઊઠીને બાવળિયે બેસવું તેવો છે.’ ‘કાંઉં કણ ખૂટે વાંદરાં બીડ ખાવો,’ એવા પુરુષ છે માટે, દેખી ઉપરનો આટાટોપ , રખે મને મોટા માનો રે; એ તો ફોગટ ફૂલ્યો છે ફોક , સમજો એ સંત શાનોરે. એમ કહીને બોલ્યા જે,‘આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે, એમ જાણવું; માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે (વ.મ.૪૮માં) કહ્યું છે જે, દેહ ધર્યાનું નિમિત્ત તો નથી પણ કોઇક કારણ ઉત્પન્ન કરી આ સંતના મધ્યમાં જન્મ ધરવો અમે જ ઇચ્છીએ છીએ. તે એ તો આપણને શીખવ્યું છે પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે. માટે સમાગમ કરી લેજો.’ ।।૬૯।।