વળી સ્વામીએ વાત કરી જે, શ્રીજીમહારાજે એક દિવસ આનંદસ્વામી, મુકતાનંદસ્વામી તથા સ્વરૂપાનંદસ્વામી એ ત્રણને પૂછ્યું જે,”અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો, ત્યારે કેમ કરો ?” ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું જે,”જેમ તમે કહો તેમ કરીએ.” ત્યારપછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે,”હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય.” ત્યારે સ્વરૂપાનંદસ્વામીને કહ્યું જે, ‘તમે કેમ કરો ?’ ત્યારે તે બોલ્યા જે,‘જે ક્રિયા કરવા ને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ દેખાય.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે, ‘જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનું કરીએ તેમનું તે તીરમાં લીંબુ દેખાય; તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે ને તે વૃત્તિને જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે.’ પછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘ત્રણેનાં અંગ જુદા જુદા જણાય છે, માટે આનંદસ્વામીએ મુકતાનંદસ્વામીનો સમાગમ કરવો ને મુકતાનંદસ્વામીએ સ્વરૂપાનંદસ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે.’ એમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે. ।।૭।।