વળી સ્વામીએ વાત કરી જે, મુકતાનંદસ્વામી તથા બ્રહ્માનંદસ્વામી તે દેશમાંથી ફરીને આવીને પછી શ્રીજી મહારાજની પાસે બેઠા. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદસ્વામીને પૂછ્યું જે, ‘દેશમાં સત્સંગ કેવો થયો છે ?’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે,‘મહારાજ ! સત્સંગ તો બહુ થયો છે.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘તમે સત્સંગી થયા છો ?’ ત્યારે કહ્યું જે,‘અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો. ને જો ખરેખરા સત્સંગી હો તો કહો જે, અમે કયાં હતા ને કયાંથી આવીએ છીએ ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘અમારા ખરેખરા સત્સંગી તો ગોવરધનભાઇ તથા પર્વતભાઇ આદિક છે, તે તો અમને ત્રણે અવસ્થામાં નિરંતર દેખે છે.’ પછી મુક્તાનદં સ્વામી બોલ્યા જે, ‘એવા સત્સંગી કમે થવાય ?’ ત્યારે મહારાજ બોલ્યા જે,‘એવા સત્સંગી તો, તો થવાય જો માયિકભાવ ટાળીને, પોતાને અક્ષરરૂપ માનીને, મારી મૂર્તિનું ચિંતવન કરો, તો એવા સત્સંગી થવાય.’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! કૃપા કરો તો એવા સત્સંગી થવાય.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘હજી કૃપા જોઇએ છીએ ? જુઓને અમે અક્ષરધામમાંથી આંહીં આવ્યા, તે પ્રકૃતિપુરુષના લોકમાં પણ ન રહ્યા ને પ્રધાનપુરુષના લોકમાં પણ ન રહ્યા ને અનતં બીજા ધામમાં ને ઇશ્વરના અનંત સ્થાનક તેમાં કયાંય ન રહ્યા ને તમારી ભેળા આવીને રહ્યા ને હજી કૃપા જોઇએ છે ?’ ત્યારે બ્રહ્માનદં સ્વામી બોલ્યા જે,‘હે મહારાજ ! કૃપા તો બહુ કરી, પણ અમારે માયાનું આવરણ તે સમજાય નહિ.’ ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઇને પછેડી ઓઢી હતી તે પડતી મૂકીને બોલ્યા જે,‘હવે છે માયાનું આવરણ ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ.’ ।।૯।।