સ્વામીએ વણથળી જાતાં વાત કરી જે, ‘હવે તો સર્વે કામ થઇ રહ્યું છે; કેમ જે, સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લ્યો એમ કરી મૂકયું છે. ને હવે તો ખોતરીને દુઃખ ઊભાં કરો, તો છે. જેમ એક વાંદરાંનું આળું જોઇને બીજાં વાંદરાં ખોતરીને દુઃખ કરે છે; તેમ તમે પણ ભેગા થઇને ખોતરીને દુઃખ ઊભાં કરો, તો છે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુઓને, સર્વોપરી મહારાજ ને સર્વોપરી આવા સાધુ ને સર્વોપરી આ સ્થાન, તેને વિષે દુઃખ રહેશે, ત્યારે કિયે ઠેકાણે દુઃખ ટળશે ? નહિ જ ટળે. માટે જેને સુખિયા થાવું હોય તેને આ બરાબર કોઇ નથી.’ એમ કહી બોલ્યા જે,‘જયારે જયારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભરી આવે છે; કેમ જે, મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે.’ ત્યારે કાશીરામે પૂછ્યું જે, જેને મહારાજનાં દર્શન થયાં હોય તેને તો સાંભરે, પણ જેને મહારાજના દર્શન ન થયા હોય, તેને શું સાંભરે ? ત્યારે સ્વામી બોલ્યા જે,‘આપણે કયાં પરોક્ષ છે ? આપણે તો મૂર્તિ દ્વારે ને સંત દ્વારે પ્રત્યક્ષ છે; તે દર્શન દે છે, વાતો કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે; પણ જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૭૦।।