સ્વામીએ વાત કરી જે, મતપંથવાળે લાખ લાખ યોજનના કૂવા ગાળ્યા છે, તે નીકળાય જ નહિ. તે શું ? તો જુઓને, કુડા માર્ગીવાળે વટલવું ને વ્યભિચાર તેણે કરીને જ મોક્ષ માન્યો છે ! તે શું શાસ્ત્રનો મત છે ? ને વેદાંતીએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિનિષેધને ખોટા કરી નાખ્યા ! એ પણ શાસ્ત્રનો મત નહિ; ને શકિતપંથવાળે તો માંસ ને મદિરા તેણે કરીને મુકિત માની છે. તે શું તો :
પીત્વા પીત્વા પુનઃ પીત્વા, પીત્વા પતન્તિ ભૂતલે । ઉત્થાય ચ પુનઃ પીત્વા, પુનર્જન્મ ન વિદ્યતે ।।
એ શ્લોક બોલીને કહ્યું જે,‘એ શાસ્ત્રનો સનાતન મત નહિ ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન નથી ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે, પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું. તે તો જેમ છોકરાંનું નાળ કરતાં ગળું કાપી નાખ્યું તેમ થયું, ને તેને તો જેમ ‘એકડાં વિનાના મીંડા ને પુત્ર વિનાનું પારણું ને જીવ વિનાની કાયા ને મણમાં આઠ પાંચશેરીની ભૂલ ’ એમ છે. અને આ જગતમાં મોટા મોટા ગુરુ કહેવાય છે, પણ તેનાં પાપ તો મુખ થકી કહેવાય નહિ. અને ભકિતનો તો ઉપર આડંબર ને પાપની તો બીક જ નહિ. તે શું તો, મા, બેન ને દીકરી તેની ગમ જ નહિ, એવા પશુના ધર્મ પાળે છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘મતમાત્ર આજ હમણાં જ બગડ્યા છે એમ નથી, એ તો મૂળમાંથી જ બગડેલા છે.’ એમ કહીને કહ્યું જે,‘આ મળદ્વાર છે તે નાનો હોય ત્યારે કાંઇ ચોખ્ખો હશે ?’ ત્યારે રૂપશંકરે કહ્યું જે,‘ના મહારાજ, એ તો મૂળમાંથી જ બગડેલો છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘વાત તો નિરંતર કરીએ છઈએ, પણ આજ તો ટીકા કરી છે.’ ત્યારે સૌએ કહ્યું જે, આવું તો સમજાતું જ નહોતું. ।।૭૧।।