પછી સ્વામીએ કલ્યાણભાઇની આગળ વાત કરી જે, ‘આજ સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહિ, ને જો કહીએ તો માન્યામાં આવે નહિ.’ ત્યારે કલ્યાણભાઇએ કહ્યું જે, સત્સંગનો મહિમા તો બહુ છે. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘પૂર્વે મોટા મોટા અવતાર થઇ ગયા છે, તે કરતાં તો આ સત્સંગીના સમાધિનિષ્ઠ છોકરાં સામું જોઇએ છઈએ ત્યાં તો મહારાજને પ્રતાપે કરીને કરોડ કરોડગણું અધિક દૈવત જણાય છે. તો મોટા મોટા હરિભકતો ને મોટા મોટા સાધુ ને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ ?’ તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે,‘હું મારા મહિમાના પારને પામતો નથી, તો બીજા તો પામશે જ કેમ ?’ એમ કહીને બોલ્યા જે : મદ્ભયાદ્ વાતિ વાતોઽયં સૂર્યસ્તપતિ મદ્ભયાત્ । વર્ષતીન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્ચરતિ મદ્ભયાત્ ।। ૧ એ શ્લોક બોલીને કહ્યું જે, ‘બળ તો બહુ દેખાડ્યું, પણ કલ્યાણ તો એક માતાનું  જ કર્યુ છે. એમ જાણતાં એ શ્લોક કોઇના બળનો જણાય છે, પણ પોતાના બળનો નહિ’ એમ કહીને વળી બોલ્યા જે,‘આજ તો સત્સંગમાં ડોશીઓ હશે તે પણ હજારો જીવનું કલ્યાણ કરશે, તો બીજાની તો શી વાત જ કહેવી ?’ એવી રીતે બહુ વાત કરીને નાહ્વા ઊઠ્યા. ।।૭૨।।