પછી વળી સ્વામીએ વાત કરી જે, મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને તે પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરવો, મંદિર કરવાં ને ભણાવવાં ઈત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાનકાળે ભગવાનનો શેમાં રાજીપો છે ? તો નટની માયાના (પંચાળાના સાતમાં) વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તેની ઉપર મહારાજ રાજી રાજી રાજી જ છે. એમ કહીને મસ્તક ઉપર કળાઇ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે, બીજું અધિક કાંઇ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે જે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સંત બધાયે અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ આંહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના (એકોતેરના) વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી સમજયો ને તે વિના તો – પીંગળ પુરાણ શીખ્યો, ગાતાં વાતાં શીખ્યો, શીખ્યો સર્વે સૂરમેં; એક રામ નામ બોલવો ના શીખ્યો, તો શીખ્યો સર્વે ગયો ધૂરમેં. એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. ।।૩૮।।