અને આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ બિરાજે છે, નહિ તો વીસ-વીસ વર્ષના સંસાર મૂકીને કેમ ચાલ્યા આવે ? ને કામ- ક્રોધાદિક તો એવા બળિયા છે જે શિવ બ્રહ્માદિકની પણ લાજ લીધી છે. અને એ કામાદિક જેને વિષે આવે છે તેને ગળી જાય છે, તે આજ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે, જેમ બ્રહ્માંડથી પર મહાજળ છે તેમાં મોટા મોટા મચ્છ છે, તે બ્રહ્માંડની સમીપે આવે તો આખા બ્રહ્માંડને પણ ગળી જાય એવડા મોટા છે, પણ પ્રદ્યુમ્નને ચોકીમાં રાખ્યા છે તે જો બ્રહ્માંડની સમીપે ગળવા આવે તો માથામાં ગદા મારે તે કરોડો યોજન જાતા રહે. તેમ કામ-ક્રોધાદિકને તો મહારાજે ને મોટા સાધુએ ઠોઇ રાખ્યા છે; નહિ તો આમાં રહેવાય નહિ. એમ કહીને બોલ્યા જે, ‘આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે, ‘મનમાં ધાર્યુ નથી, નહિ તો ઉડાડી મૂકીએ. કેમ જે, પૃથ્વીના મનુષ્ય સર્વેને ભેગાં કરીએ ને લુહારમાત્ર માંડે લોઢાં ઘડવા ને આપણે માંડીએ સુરંગો દઇને ઉડાડવા, તો ચાર-પાંચ વરસમાં ચૂરેચૂરા કરીને ઉડાડી મૂકીએ; તેમ કામ-ક્રોધાદિક ગમે તેવા બળિયા હોય પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ એમા કાંઇ સંશય નથી.’ ।।૪૦।।