વળી સ્વામીએ એમ વાત કરી જે, ગોપાળાનંદસ્વામીએ સર્વે સાધુને કહ્યું જે, ‘કેવી રીતે ધ્યાન ને માનસી પૂજા કરો છો ?’ ત્યારે સર્વેએ કહ્યું જે,‘જયાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ ને જયાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ.’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે, ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું ?’ ત્યારે સર્વેએ કહ્યું જે, ‘કેવી રીતે ત્રણ દેહ જીતવા ?’ એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, ‘ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવજંતુ કરડે તોપણ સ્થૂળ દેહને હલવા દેવું નહિ એટલે સ્થૂળ દેહ જીતાણું જાણવું ને ઘાટ સંકલ્પ બંધ કરીને ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જીતાણું જાણવું. ને નિદ્રા, આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જીતાણું જાણવું. એવી રીતે ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું.’ ત્યારે સિદ્ધાનંદસ્વામી કહે જે,‘કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે. તે બહુ દાખડો કરીએ ત્યારે જીતાય, તે જેમ કૂવામાંથી કાળી છીપરને  કાપવી હોય તેને ટાંકણું-હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે માંડ ટોપલી ગાળ નીકળે એવું કઠણ છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘અમે તો સુરંગો  દઇએ છીએ તે બસેં- બસેં ગાડાં પાણા નીસરે છે, તે શું ? તો, વાતરૂપી સાંગડિયે  કરીને દાર દઇએ છીએ, ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ, ને ભગવાન ને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ, તેણે કરીને કારણ શરીરરૂપ જે અજ્ઞાન તે રૂપી જે કાળો પર્વત, તેને તોડીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ, તે કાંઇ કઠણ નથી.’ ।।૪૩।।