સ્વામીએ એમ વાત કરી જે, ‘સત્યુગમાં મનુષ્યને લાખ વર્ષની આવરદા ને હજાર વર્ષનો ખાટલો ને સો વર્ષ સુધી ડચકાં ખાય ત્યારે જીવ જાય; ને આજ તો આ જ્ઞાને કરીને ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે, એવું સુગમ કરી નાખ્યું છે, પણ જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેડી, હવેલી, રાજયસમૃદ્ધિ ને રાજયલક્ષ્મીને વિષે માલ મનાય છે ને સુખ મનાય છે. જેમ છોકરાં ધૂળની ઘોલકીઓ  કરે છે ને ઠીકરાની  ગાયું કરે છે ને ચૈયાના ને કાચલીઓના ઘોડા કરે છે ને સુખ માને છે, તેમ એ પણ સુખ માને છે; પણ જયારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઇ જાય. જેમ ભાલદેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો, તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું જે, ‘મહારાજ, રાજી કમે થયા છો ?’ ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે,‘રાજી ન થઇએ ? દસ ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યું છે, ના’શું-ધોશું ને ટીમણ કરશું.’ ત્યારે તે રબારી બોલ્યો જે,‘હૈયું ફોડમાં, જોડા પહેરીને ચાલ્યો આવું છું એ પાણી તો ઝાંઝવાનાં બળે  છે !’ ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઇ ગયા. તેમ જયારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઇ જાય અને જે મૃગલાં જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે. જેમ ઝાંઝવાના જળને  દેખીને મૃગલાં દોડે છે તેમ. અને મનુષ્ય છે તે દેખે છે પણ ખોટાં જાણે છે. અને સૂર્યના રથમાં બેઠા છે તેની દષ્ટિમાં તો ઝાંઝવાના પાણી નથી. તેમ જે જ્ઞાની છે તેની દષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઇ આવતું નથી.’ ।।૪૪।।