સ્વામીએ એક ભકત સામું જોઇને વાત કરી જે, ‘ભગવાન ને મોટા સાધુ જયારે ઉદાસી થાય ત્યારે એમ જાણવું જે, હવે મુમુક્ષુનાં કર્મ ફૂટ્યાં. એમ કહીને બોલ્યા જે,‘આપણે તો બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ કર્યો ને હવે તો દેશકાળે કરીને ભેગું રહેવાય કે નોય રહેવાય, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરતા શીખો, તો એક પળમાત્ર નોખા જ નથી, એમ જાણવું.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘અક્ષરધામનો મુકત હોય ને સ્વાઘીન થકો આંહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય, પણ એને સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જડ સંજ્ઞાને પામી જાય છે. અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઇ આવે છે. નીકર તો જેમ આ દેશના વાણિયા પરદેશમાં જાય છે ત્યાં કાફરીઓ રાખીને રહી જાય છે, તેમ અક્ષરધામના મુકત હોય, તે પણ આ લોકમાં બંધાઇ જાય છે. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની તો સમાધિ થાતી ને મહારાજને ત્રણે અવસ્થામાં નિરંતર દેખતા, તોય ત્રણ ઘર કર્યા ! પણ પોતાની મેળે નીકળાણું નહિ. પણ જયારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું, એવો આ લોક છે. તે સારુ તો મહારાજ અક્ષરધામ ને અનંત મુકતે સહિત જ પધાર્યા છે માટે સમાગમ કરી લેવો, જેથી મહારાજની સેવામાં રહેવાય. નીકર તો ઘરોઘર કાફરીઓ છે તેની સેવામાં રહેવાશે. એમ કહીને બોલ્યા જે, કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ રૂપ, દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ. ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ, જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય. એટલી વાત કરીને ધર્મશાળામાં આસને પધાર્યા. ।।૭૩।।