સ્વામીએ એમ વાત કરી જે, “વડતાલમાં ચાર પાટીદારે શ્રીજીમહારાજ સામું જોઈને કહ્યું જે, હે મહારાજ ! તમારા ચરણારવિંદ સામું જોઇએ છીએ તો તમે પુરુષોત્તમ જણાઓ છો ને તમારા શરીર સામું જોઇએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાઓ છો.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘વૈરાટ બ્રહ્મા છે તેણે તેનાં પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી, ત્યારે આ બે ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યાં છે, પછી તમારે તો સૂઝે એમ સમજાય.’ પછી વળી પૂછ્યું જે, ‘ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમ સામું જોઇ રહ્યા છે તે કેમ સમજવું ?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘હું સદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વ કમળ ખીલ્યાં છે; તે મારા સામું જોઇ રહ્યાં છે.’ પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયાં. એમ મુમુક્ષુનાં લક્ષણ  છે.” ।।૪૬।।