સ્વામીએ વાત કરી જે, લાખ મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર એક-બે પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહિ. ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઇને નાખીએ તો દસ-પંદર દિવસ સુધી તો હવેલી જેવડી છોળું ઉછળે ત્યારે માંડમાંડ ઠરે. તેમ પંચવિષયે કરીને જો જીવ ધગી જાય છે, તેને એક-બે દિવસ રહીને જાણે જે ટાઢો કરી જાઉં, એમ ટાઢો થાય નહિ. ને જેને ટાઢો કરવો હોય તેને તો દસ-પંદર દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઊતરે ત્યારે વાત માંહિ પેસે; પછી ટાઢું થાય છે. અને સાધુ પાસે કોણ આવે છે ? ને જે સાધુ પાસે આવે છે તેને તો કોઇ વાતની કસર રહે જ નહિ. એમ કહીને બોલ્યા જે ,
તીન તાપકી ઝાલ ઝર્યો, પ્રાની કોઇ આવે; તાકું શીતલ કરત તુરત, દિલ દાહ મિટાવે.
કહી કહી સુંદર બેન રેન, અગ્યાન નિકાસે ; પ્રગટ હોત પહિચાન , જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે.
વૈરાગ ત્યાગ રાજત વિમલ, ભવદુઃખ કાટત જંતકો; કહે બ્રહ્મ મુનિ યહ જગતમેં, સંગ અનુપમ સંતકો. એવો સત્સંગ મળ્યો છે, પણ સમાગમ વિના કોઇને ગમ પડતી નથી. ને જયાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઇ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા :
રાજ ભયો કહાં કાજ સર્યો, મહારાજ ભયો કહાં લાજ બઢાઇ,
શાહ ભયો કહાં બાત બઢી, પતહાસ ભયો કહાં આન ફિરાઇ;
દેવ ભયે તોઉ કહાં ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઇ,
બ્રહ્મમુનિ સત્સગં બિના, સબ ઓર ભયો તો કહાં ભયો ભાઇ.
એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઇ કયુર્ં નથી. ।।૪૮।।