સ્વામીએ સર્વે ધામોના મુકત સાથે પ્રશ્ન-ઉત્તર કર્યા, તે કોઈ મુકત જીત્યા નહિ. તે વાત પોતે કરી જે, “પ્રથમ તો જાણીએ, હું બદરિકાશ્રમમાં ગયો; તે બદરિકાશ્રમમાં મુકત મને પ્રશ્ન-ઉત્તરમાં જીત્યા નહિ; પછી જાણીએ જે, હું શ્વેતદ્વીપમાં ગયો ત્યારે તે શ્વેતદ્વીપના મુકત જીત્યા નહિ. પછી જાણીએ જે, હું વૈકુંઠમાં ગયો, ત્યારે તે વૈકુંઠના મુકત પણ જીત્યા નહિ; પછી જાણીએ જે, હું ગોલોકમાં ગયો, ત્યારે તે ગોલોકના મુકત પણ જીત્યા નહિ; પછી જાણીએ જે, હું અક્ષરધામમાં ગયો, ત્યારે તે મુકત સાથે મારે બરોબર પ્રશ્ન-ઉત્તરમાં ઠીક પડ્યું. ‘પછી ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, આજ તો આમ થયું. ત્યારે ગોપાળાનંદસ્વામી બોલ્યા જે,‘મહારાજે એમ જણાવ્યું જે, બીજા ધામોના મુકતનું જ્ઞાન આવું છે !’ માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન તો અક્ષરધામના મુકતમાં છે કે આંહીં એકાંતિક સાધુમાં છે, પણ બીજે નથી ને બીજે તો બીજું જ્ઞાન છે.’ ।।૪૯।।