પછી સ્વામીએ વાત કરી જે :

અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સરુ નર મુનિ મહીં નહિ સુખ લેશા.

એમ કહીને બોલ્યા જે, ‘એવા અધર્મસર્ગનો શેણે કરીને પ્રવેશ થાય છે ? તો જયારે એકબીજાનાં મન નોખા પડે છે, ત્યારે પ્રવેશ થાય છે. ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહિ.’ તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે,”એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને કહ્યું જે, ‘બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો.’ ત્યારે બળિયામાં બળિયો હતો તેથી તે આ તીરનો ભાથો ભંગાણો નહિ. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી  હતો તેને કહ્યું જે ‘ભાંગી નાખ.’ ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને  કહ્યું જે,”જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ  રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોયે તમારો પરાભવ નહિ કરી શકે ને રાજ આબાદ રહેશે.” એ દષ્ટાંત દઇને બોલ્યા જે, ‘આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તે પણ પરાભવ નહિ કરી શકે ને આમ નહિ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુવોને કેટલાકને તો જોડ જ નથી ને કોઇક તો પાકલ ગૂમડાં જેવા , તે કહેવાય નહિ ! માટે દસ મંડળમાં જેમ જેને મળતું આવે તેમ તમે સર્વે રહેજો.’ એટલી વાત કરી પછી ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા. ।।૫૮।।