સ્વામીએ એક દિવસ બાવળિયા સામું જોઇને કહ્યું જે, ‘જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઇ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થાતો નથી, કેમ જે રેતીએ કરીને સોરાઇ ગયો છે; તેમજ વિષયે કરીને તો જીવ સોરાઇ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને જ્ઞાન વિના લીલો પલ્લવ થાતો નથી. ને લોક, ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઇ ગયા છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને તો નાશ થઇ જાય છે, પણ જીવ ત્રપખડો મૂકે નહિ ત્યાં સુધી સુખિયો પણ થાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આ જીવ તો મેવાસી થઇ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો પોતાને ખબર જ નથી અને જેમ મેમણ ચડ્યો પોઠિયે, હાથમાં લીધી લાકડી ને કહે જે,‘કેકેં હણાં ને કેકેં ન હણાં !’ એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે, મારીશ કેને ?’ એમ કહીને બોલ્યા જે, મોટા થાવાનું મનમાં રે દિલમાં ઘણો ડોડ , તેવા ગુણ નથી તનમાં રે કાં કરે તું કોડ . એમ જીવ કોડ તો બહુ કરે પણ મહિનો-દિવસ હાથધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે.’ એવી રીતે વાત બહુ કરી. ।।૫૯।।