સ્વામીએ વાત કરી જે, જેમ જેમ જ્ઞાન થાતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દષ્ટાંત દીધું જે,‘એક રબારી ચાલ્યો જતો હતો ત્યાં હીરો હાથ આવ્યો, તે ભેંસની કોટે  બાંધ્યો. પછી તે ભેંસને કોઈકે લઇને એ હીરો બસેં રૂપિયામાં દીધો ને બસેંવાળે હજારમાં દીધો ને હજારવાળે દસ હજારમાં દીધો, એમ ને એમ ચડતાં લાખ રૂપિયામાં દીધો. પછી તે લાખ રૂપિયાવાળાએ કોઇક શાહુકાર હતો તેની પાસે જઇને કહ્યું જે, ‘આ હીરો તમારે રાખવો છે ?’ ત્યારે શાહુકાર હીરો જોઇને બોલ્યો જે,‘સો મોટલિયા  કરીને દી ઊગ્યાથી તે આથમ્યા સુધી દ્રવ્ય લઇ જાઓ એટલું તમારું.’ ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો જે, શાહુકારે ખજીનો લૂંટાવી દીધો ! પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું જે, ‘શું જણસ  લીધી ?’ ત્યારે તેણે કહ્યું જે,‘આ હીરો લીધો છે.’ ત્યારે તેણે જોઇને કહ્યું જે,‘તેં તો મફત પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહિ !’ ત્યારે તો એ સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય; તેમજ ભગવાનનું જ્ઞાન પણ જાણવું. તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થાતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે.’ તે ઉપર સારંગપુરનું સત્તરમું વચનામૃત વંચાવ્યું. ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા. ।।૬૧।।