સ્વામીએ વાત કરી જે, એક દિવસ મહારાજે મને કહ્યું જે,”કહો તો કાળ પાડીએ ને કહો તો ટુંટિયું લાવીએ.” ત્યારે મેં કહ્યું જે,‘કાળ પાડશો મા ને ટુંટિયું લાવજો.’ ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું જે,”બેયની ના પાડીએ નહિ ?” ત્યારે મેં કહ્યું જે,‘મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય. પણ મરજી વિના તો કહેવાય જ નહિ.’ વળી બોલ્યા જે,‘એક દિવસ મેં મહારાજને કહ્યું જે, “તમારા ઘરમાં અંધારું કેમ છે ? જે ખેડુ કામી કામીને  મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તોપણ તેને ખાવા મળે છે ને ખેડુ ભૂખે મરે છે.” તે દિવસથી મહારાજની દષ્ટિ થઇ છે જે, ખેડુના ઘરમાં હોય ત્યારે મોઘું ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોઘું થાય છે. ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓને, રૂના ડૂચા લઇ જાય છે ને બે કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે, એવું કયુર્ં છે, પણ પ્રભુ ભજવા નવરા થાતા નથી. અરે, આપણે આવું કયાં હતું ને હજી રાત્રિપ્રલય સુધી થાશે; પણ રઘુવીરજી મહારાજે ચાર મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતો જ કરાવી, એમ કોઇ કરશે નહિ ને કરાવશે પણ નહિ. એવો માયાનો મોહ છે. એમ કહીને વળી બોલ્યા જે, અમોએ સાધુને રાખીને બે મહિના સુધી વાતો ને પ્રશ્ન-ઉત્તર કરાવ્યા. પણ કેટલાકને તો ગમ જ નહિ, સ્વામી શું કહે છે ને શું થાય છે ? ને આપણે તો સોપો  જ પડતો નથી. એમ કહીને બોલ્યા જે, “કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધુનો મત”  એ વાતની ખબર જ નથી, જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે ?’ એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા ને સર્વે કીર્તન ગાવા લાગ્યા. ।।૭૪।।

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએ કરેલી વાતોમાં ભગવાનનો સર્વોપરી નિશ્ચય તથા મહાત્મ્યનું મુખ્યપણું કહ્યું એ નામે બીજું પ્રકરણ સમાપ્ત.