સંવત્ ૧૮૭૭ ના માગસરવદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં પ્રાત:કાળને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રીમદ્ભાગવત તથા ભગવદ્રીતા એ આદિક જે સત્‍શાસ્ત્ર તે થકી અસત્‍પુરૂષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ? ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનો ઉત્તર કરીએ છીએ જે. અસત્‍પુરૂષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિષે સ્‍થાવર જંગમરૂપ એવી જે સ્‍ત્રીપુરૂષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટરૂપ એવા જે આદિ પુરૂષનારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે, તે સારૂં જે મુમુક્ષુ કલ્‍યાણને ઇચ્‍છતો હોય તેણે પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્‍ત્રીઓ તથા પુરૂષરૂપ એવી ઉત્તમ, નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય ત્‍યારે તેને તેજ આકૃતિનું મનને વિષે ઘ્‍યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્‍પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે, સમગ્ર જગત તે બ્રહ્મ છે. એમ વિચાર કરીને તે સંકલ્‍પને ખોટો કરવો. એવી રીતે જે સત્‍શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્‍પુરૂષની સમજણ છે અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્‍ટ ભાવ છે. અને એનું ફળ અંતકાળે ધોર તમ નરક છે ને સંસૃતિ છે.

ત્‍યારે વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન કર્યો જે, એ સત્‍શાસ્ત્ર થકી સત્‍પુરૂષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો ? ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ સત્‍શાસ્ત્રને વિષે જ એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો છે જે એક પુરૂષોત્તમનારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ઘ્‍યાન જે મોક્ષને ઇચ્‍છતો હોય તેને કરવું નહિ અને મનુષ્યને વિષે તથા દેવતાને વિષે જે પુરૂષોત્તમનારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ઘ્‍યાન કરવું. અને તેને વિષે પણ જે ડાહ્યા છે તે જે તે જે સ્‍થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્‍થાનકને વિષે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે અને તે લોકને વિષે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિષે કરે છે. અને કોટિ કોટિ સૂર્ય, ચંદ્રમા, અગ્‍નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકને વિષે રહી પુરૂષોત્તમનારાયણની દિવ્‍યમૂર્તિયો તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિષે કરે છે. એવી રીતે સત્‍શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્‍યભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ઘ્‍યાન કરે છે, તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્‍ય આકાર તે બેયને વિષે સમપણું થાય જ નહિ. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેને વિષે ચારભુજની ભાવના, અષ્‍ટભુજની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્‍ય આકાર તે બેમાં જે અવિવેકી પુરૂષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનુંજ ઘ્‍યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઇ ગયા તે મૂર્તિનું ઘ્‍યાન ન કરવું અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિષેજ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે જે ‘કોટિ જન્‍મ લગ રગડ હમારી, વરૂં શંભુ કે રહું કુમારી’ એવી રીતે પતિવ્રતા પણાની ટેક, તે પણ ભગવાનનું રૂપ ને અન્‍ય જીવનું રૂપ તે બેયને વિષે અવિવેકી પુરૂષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ઘ્‍યાન કરે, તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ઘ્‍યાન કરે, માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિષે ભેદ નથી. આવી રીતે સત્‍પુરૂષની સમજણ છે. માટે જે સત્‍શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્‍પુરૂષ થકી જ કરવું, પણ અસત્‍પુરૂષ થકી સત્‍શાસ્ત્રનું કોઇ દિવસ શ્રવણ કરવું નહિ. ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૧૧|| ૧૧૯ ||