સંવત્ ૧૮૭૯ના શ્રાવણ વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું જે, “સાંભળો અમે એક પ્રશ્ર્ન પુછીએ છીએ જે, ‘એક તો ભગવાનનો ભક્ત ત્‍યાગી છે ને દેહે કરીને તો સર્વ વર્તમાન દૃઢ રાખે છે, ને અંતરમાં તો વિષય ભોગવવાની  વાસના અતિશે તીખી છે, તો પણ દેહે કરીને તો ભ્રષ્‍ટ થતો નથી, એવો તો ત્‍યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્‍થાશ્રમી છે, ને તેને તો દેહે કરીને ધન સ્‍ત્રીનો પ્રસંગ છે, ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બેય જણા જ્યારે દેહ મુકશે ત્‍યારે એ બેય શી ગતિને પામશે ? એ બેય તે સરખી ગતિને પામશે ? કે અધિક ન્‍યૂન થશે ? એ બેયનો વિકિતએ કરીને જુદો જુદો ઉત્તર આપો.” પછી ગોપાળાનંદ સ્વામી બોલ્‍યા જે, ‘એ ત્‍યાગી જયારે દેહ મુકશે ત્‍યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્‍યુલોકને વિષે અથવા દેવલોકને વિષે મોટો ગૃહસ્‍થ કરશે અને અતિશે વિષયભોગ પ્રાપ્‍ત થશે’. તે જેવા ભગવદ્રીતામાં યોગભ્રષ્‍ટને ભોગ કહ્યા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે, અને એ ગૃહસ્‍થ હરિભક્ત છે, તે તો દેહ મુકશે ત્‍યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કહ્યો જે ત્‍યાગી તે તો વિષય ભોગવી ભોગવીને જ્યારે તૃપ્‍ત થાશે, ત્‍યારે તે વિષય થકી વૈરાગ્‍યને પામીને ને મનમાં પશ્વાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઇને ભગવાનના ધામમાં જશે.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ઠીક કહ્યું, એનો ઉત્તર એ જ છે.”

પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “એવી દૃઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઇચ્‍છા હોય, તો તે શો ઉપાય કરે ત્‍યારે ટળે ? પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેવું ઉકાખાચરને સંતની સેવા કર્યાનું વ્‍યસન પડયું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્‍યસન પડે, ને તે વિના એકક્ષણ માત્ર પણ રહેવાય નહિ, તો એના અંત:કરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.

પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે.”? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય, ને ત્‍યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય અને પછી તેને એક ગામનું રાજ્ય આવે અથવા પાંચ ગામનું રાજ્ય આવે, અથવા પચાસ ગામનું રાજ્ય આવે, અથવા સો ગામનું રાજ્ય આવે, અથવા સર્વે પૃથ્‍વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન આધીન રહેતો, તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધિન રહે, તેમજ ઇંદ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવોજ દીન આધીન રહે. અને ત્‍યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય, અને જેમ સૌ સંતની ટેલચાકરી કરતો હોય, તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવાં ઐશ્વર્ય આવે, તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાઇ દાવો બાંધે નહિ, ને બરોબરીયાપણું કરે નહિ, એવાં જેનાં લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૨૫|| ૧૫૮ ||